by Admin on | 2023-06-14 14:05:02
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 20
બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને અન્વયે બોટાદ જિલ્લામાં જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થાય તે હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયની સુચના મુજબ સમગ્ર વહીવટી તંત્ર તેમજ વિવિધ વિભાગો દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.
કાચાં મકાનો કે ઝું૫ડાઓમાં રહેતાં અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને જરૂર પડ્યે સ્થળાંતરિત કરવામાં આવશે. જે બાબતે અધિકારીશ્રીઓ દ્વારા સર્વે હાથ ધરી અનેક વિસ્તારનાં લોકોને સમજૂત કરવામાં આવી રહ્યાં છે. બોટાદ શહેરી વિસ્તારમાં આશરે 296 લોકોને જરૂર પડ્યે સ્થળાંતરિત કરવામાં આવશે જેમનાં માટે 5 સ્થળે શેલ્ટર હોમની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથોસાથ બોટાદ ગ્રામ્યમાં આશરે 325 લોકોને જરૂર પડ્યે સ્થળાંતર કરાવવાની વ્યવસ્થા ગોઠવાય છે જેઓને સરકારી શાળા ખાતે રહેવાની સગવડતા ઉભી કરાય છે.
ગઢડા શહેરમાં અંદાજે 367 લોકો માટે 9 જેટલાં શેલ્ટર હોમની વ્યવસ્થા કરાય છે જ્યારે ગઢડા ગ્રામ્યમાં અંદાજિત 345 જેટલા લોકોને જો સ્થળાંતર કરાવવાની જરૂર પડે તો તેઓ માટે સરકારી શાળા ખાતે સુવિધા ઉભી કરાય છે. રાણપુરમાં આશરે 197 લોકોને જરૂર પડ્યે સ્થળાંતરિત કરવામાં આવશે જેમનાં માટે 6 પ્રાથમિક શાળાઓ ખાતે શેલ્ટર હોમની સુવિધા ઉભી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયનાં માર્ગદર્શન હેઠળ વાવાઝોડા અન્વયે તમામ કામગીરી સુચારૂ રૂપે થાય તે માટે અધિકારીશ્રીઓ કામગીરી કરી રહ્યાં છે.