GUJARAT BOTAD

આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ – ૨૦૨૩ મિલેટ ડેવલપમેન્ટ યોજના હેઠળ બોટાદ તાલુકા કક્ષાનો મિલેટ મેળો સંપન્ન

by Admin on | 2023-10-19 15:39:37

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 116


આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ – ૨૦૨૩ મિલેટ ડેવલપમેન્ટ યોજના હેઠળ બોટાદ તાલુકા કક્ષાનો મિલેટ મેળો સંપન્ન

તૃણ ધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ આવે અને રોજીંદા જીવનમાં વપરાશ વધે તે હેતુથી કરાયું ભવ્ય આયોજન

 સંયુકત રાષ્ટ્ર મહાસભાના ૭૫માં સત્ર દરમિયાન વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ભારત સરકારશ્રી દ્વારા મુકાયેલા પ્રસ્તાવને ૭૨ દેશોનું સમર્થન મળતા વર્ષ ૨૦૨૩ને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ – ૨૦૨૩ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે,જેના અનુસંધાને બોટાદમાં તૃણ ધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ આવે અને રોજીંદા જીવનમાં વપરાશ થાય તે હેતુથી મિલેટ ડેવલપમેન્ટ યોજના હેઠળ તાલુકા કક્ષાના મિલેટ મેળાનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને નાનાજી દેશમુખ ઓડિટોરિયમ, નગરપાલિકા, બોટાદ ખાતે કરવામાં આવ્યું હતું. 


                 કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન અને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત મદદનીશ ખેતી નિયામકશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા ખેડૂતોને મિલેટ પાકના અરોગ્યલક્ષી ફાયદાઓ વિશે જાણકારી આપી મિલેટ પાકોના વાવેતર તરફ વળવા આહ્વાન કર્યું હતું. તેમજ બાગાયત ખાતા તરફથી મળતી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. 


                કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજથી પધારેલા વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક દ્વારા મિલેટ વિશે વિસ્તૃત જાણકારી, તેના આરોગ્ય લક્ષી ફાયદાઓ અને આધુનિક ખેતી પદ્ધતિની જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ મિલેટની ઉપયોગિતા સાથે પ્રાકૃતિક કૃષિનું મહત્વ, ગાય આધારિત ખેતી અને જમીનમાં જરૂરી પોષક તત્વોનો રાસાયણિક ખાતર વગર વ્યવસ્થાપન કરવા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ ચેરમેનશ્રી પોપટભાઈ અવૈયાએ પ્રાસંગિક ઉદબોધનમાં ખેડૂતોને મિલેટ પાકોની ખેતી કરવા તેમજ રાસાયણિક દવા ખાતરનો ઉપયોગ બંધ કરી પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કર્યા હતા.  


         કાર્યક્રમમાં સરવા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રધુમનસિંહ વાઘેલાએ ખેડૂતોને પોતાની ખેત પેદાશોનું જાતે જ મુલ્યવર્ધન કરી વેચાણ કરવા માર્ગદર્શિત કર્યા હતા. પ્રાકૃતિક ખેતી કરતા તાલુકાના પાંચ પ્રગતિશીલ ખેડૂતોનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સરકારશ્રીના વિવિધ યોજનામાં લાભાર્થીઓને મહાનુભાવો દ્વારા મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં ખેતી અધિકારીશ્રીએ આભાર વિધિ કરી હતી. 


          ખેડૂતોને સરકારશ્રીની લાભકારી યોજનાઓ અને આધુનિક ખેતીના ઈનપુટ વિશે માહિતી મળી રહે તે હેતુથી કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ, આત્મા પ્રોજેક્ટ, વન વિભાગ, આઈ.સી.ડી.એસ., બીજ નિગમ, બિયારણ કંપની તથા માઇક્રો ઈરીગેશન કંપનીના સ્ટોલની ગોઠવણી કરવામાં આવી હતી. 


          કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી કનુભાઈ રાઠોડ,તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન બારૈયા, બોટાદ એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી મનહરભાઈ માતરીયા, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ અને સદસ્યશ્રીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી બી. આર. બલદાણીયા, નાયબ બાગાયત નિયામકશ્રી જે. ડી. વાળા, મદદનીશ ખેતી નિયામકશ્રી કે. બી. રમણા, ખેતી અધિકારી શ્રી એન. બી. સરીયા અને શ્રી એચ. ડી. ચૌધરી, વિસ્તરણ અધિકારીશ્રી બી. બી. ખાચર સહિત મોટી સંખ્યામાં ગ્રામસેવકો અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


Search
Recent News
Top Trending

Leave a Comment