GUJARAT BOTAD

બોટાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે ''સુશાસન દિવસ- 2023''ની ઉજવણી કરવામાં આવી

by Admin on | 2023-12-25 15:09:33

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 138


બોટાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે ''સુશાસન દિવસ- 2023''ની ઉજવણી કરવામાં આવી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો


 દેશના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારત રત્ન દિવંગત શ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ દર વર્ષે તા.25 ડિસેમ્બરના રોજ દેશભરમાં ઉજવવામાં આવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને જન-જનને સરકારની વિવિધ યોજનાઓ વડે લાભાન્વિત કરવાના ઉમદા ઉદેશ્ય સાથે શ્રી અટલજીના જન્મદિવસને ''સુશાસન દિવસ : ગુડ ગવર્નન્સ ડે'' તરીકે ઉજવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. જે અન્વયે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 


જેને પગલે, બોટાદ જિલ્લા કલેકટર કચેરીથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીગણ અને કર્મચારીગણ જિલ્લા કક્ષાની સુશાસન દિવસની ઉજવણીમાં સંમિલિત બન્યા હતા. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશના ભાગરૂપે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લાના નાગરિકોએ ''શ્રમદાન મહાદાન'' માં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. 


જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તમામ કર્મયોગીઓને જિલ્લાના વિકાસ માટે સતત કર્મ કરવાની અને લોક પ્રશ્નોના નિવારણ માટે જાગૃત બની રહેવા જણાવ્યું હતું. બોટાદ જિલ્લા કક્ષાએ સ્વચ્છતા અંગે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જિલ્લા કલેકટર કચેરીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો. સાથોસાથ દ્વિતીય ક્રમે એસ.પી. કચેરી તથા તૃતીય ક્રમે આર એન્ડ બી કચેરીના તથા તાલુકા કક્ષાએ પાણી પુરવઠા વિભાગ, બરવાળાના અધિકારીગણને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. 


ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે સુશાસન દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમ વડે સર્વે જિલ્લા કક્ષાના પ્રતિનિધિગણને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે કર્મયોગી એચ.આર.એમ.એસ. 2.0 પોર્ટલ, નિર્મળ ગુજરાત 2.0 અભિયાન અને નિર્મળ ગુજરાત 2.0 વિષે જાણકારી આપતી માર્ગદર્શિક પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં સુશાસનની કર્મભૂમિ- ગુજરાત મોડેલ, નિર્મલ ગુજરાત 2.0 અને કર્મયોગી એચ.આર.એમ.એસ. 2.0 પોર્ટલ વિષે જાણકારી આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. 


ઉક્ત કાર્યક્રમ દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પી. ટી. પ્રજાપતિ,  પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ સહિત જિલ્લા સંકલન સમિતિના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


Search
Recent News
Top Trending

Leave a Comment