by Admin on | 2024-01-23 15:47:29
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 166
અયોધ્યામાં રામલલ્લાના ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થતાં સમગ્ર દેશ અને દુનિયા રામમય બની છે ત્યારે સમગ્ર દેશમાં આજે ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી.
આજે અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સાથે આગમનના વધામણા કરવા સરતાનપર ગામ સમસ્ત દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવેલ જેમાં યુવાનો, વૃધ્ધો, ભાઈઓ- બહેનો કેસરી ધ્વજા લઈને સ્વયંભુ જોડાયા હતા. શોભાયાત્રામાં પ્રભુ શ્રી રામ અને હનુમાનદાદાના ગીતો ઉપર યુવાનો ઝુમી ઉઠેલ તો ચોપાઈ-ધુનથી સમગ્ર ગામનું વાતાવરણ રામમય બની જવાની સાથે જય શ્રી રામનો ગગનચુંબી નાદ ગુંજી ઉઠયો હતો.
શોભાયાત્રામાં બાળકો પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ, સીતા કૃષ્ણા અને સબરીના વેશભૂષા ધારણ કરી જોડાયા હતા. આજની શોભાયાત્રામાં સ્વયંભુ લોકો મોટી સંખ્યામાં જોડાતા સમગ્ર ગામના ઈતિહાસની ન ભુતો ન ભવિષ્ય જેવી ઐતિહાસિક હોવાની અનુભૂતિ રામભકતો કરી હતી.
શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપર ફરેલ ત્યારે જુદા જુદા સંગઠનો મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતુ. મોટી શાળા પાસે શ્રી મહાકાળી ગ્રુપ દ્વારા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રોયલ ગ્રુપ દ્વારા સબરીબાઈની ઝૂંપડી બનાવી તેમાં સબરીબાઈની વેશભૂષા સાથે તૈયાર થઈ રામ, સીતા અને લક્ષ્મણને ચાખી ચાખી ને મીઠા બોર ખવડાવ્યા હતા, આ દૃશ્ય જોય ગામલોકો ભાવુક થયાં હતા, ઘણી બધી મહિલાઓ રોતા નજરે પડી હતી. રામ, લક્ષ્મણ અને સીતા ને લાવવા માટે ઇલેક્ટ્રિક ફોર વ્હીલમાં લાવવામાં આવ્યા હતા, જે દૃશ્ય જોઈ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. વાહન ચાલકો દ્વારા પણ આખી શોભાયાત્રામાં આવતા લોકો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે બંદર રોડ પર આવેલ ક્રિષ્ના ગૃપ દ્વારા લીંબુપાણી અને ચા ની વ્યવસ્થા કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય ગ્રુપ દ્વારા જુદી જુદી આગતા સ્વાગતા કરવામાં આવી હતી.
ગામમાં દિવાળી જેવો માહોલ છવાયાની સાથે સજ્જડ બંધ રહ્યુ હતુ. વેપારી-ગ્રામજનોએ બજારોમાં, રસ્તાઓ ઉપર તથા મંદિરોના આંગણે રંગોળી કરીને રંગબેરંગી લાઈટીંગથી સુશોભિત કરતા સમગ્ર શહેરમાં રામ મય વાતાવરણ છવાઈ ગયુ જોવા મળી રહ્યુ છે. રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અવસરે ગામમાં ઠેરઠેર મહાઆરતી, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આજે પ્રભુ શ્રી રામના વધામણા માટે ગામની બજારો સજ્જડ બંધ રહી હતી. તો જુદા જુદા વિસ્તારોમાં સામુહિક ધૂન, ભજન અને આરતીના કાર્યક્રમો યોજાયા હતા. આમ શહેરીજનો પ્રભુ રામની ભક્તિમાં રામ મય બની ગયા હતા.
આજે અયોધ્યામાં પ્રભુ શ્રી રામના આગમનના વધામણા અને પ્રાણ પ્રતિષ્ઠા સમયે સરતાનપર ગામ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં 'સુપ્રભાત સૌરાષ્ટ્ર' દૈનિકના તંત્રી વિષ્ણુભાઈ યાદવ, સરપંચ હરેશભાઈ વેગડ સહિત ગ્રામ પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને રામ ભક્તો જોડાયા હતા.